પાટડી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગૌ વંશની હત્યાની હિચકારી ઘટના સામે આવી છે. ગૌપ્રેમીઓના ભારે આક્રોશ વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં આ મામલે કુલ 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને પશુ સંરક્ષણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટડી પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે,ટાઉન વિસ્તારમાં જહીર દાવલભાઈ બેલીમના ઘરે ગૌ વંશની હત્યા કરવામાં આવી રહી છે. બાતમી મળતા જ પાટડી પોલીસની એક ટીમ રવાના થઈ હતી અને જહીર બેલીમના ઘરે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમ સાથે પશુચિકિત્સક પણ સામેલ હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીના ઘરે અલગ અલગ સ્થળેથી ગૌ વંશના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, આરોપી ગૌ વંશને પોતાના ઘરે લાવ્યો હતો અને ઘરમાં જ તેની હત્યા કરી હતી.
ગૌ પ્રેમીઓમાં ફાટી નીકળ્યો આક્રોશ
પાટડીમાં ગૌ વંશની હત્યા બાદ ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગૌ વંશની હત્યાના વિરોધમાં પાટડી શહેર સજ્જડ બંધ રહ્યું હતું. રાજકીય આગેવાનો ઉપરાંત સંતો-મહેંત અને સ્થાનિક હિન્દુ સંગઠનોએ ગૌ વંશની હત્યાના વિરોધમાં પાટડીમાં વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં અસંખ્ય ગૌ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ગૌ પ્રેમીઓએ રેલી યોજીને ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ અધિકારીઓને લેખિતમાં આવેદન પત્ર આપ્યું છે. તેમની માગ છે કે, ગૌ વંશની હત્યા કરનારા ઈસમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.
અત્યાર સુધીમાં 7ની ધરપકડ
Dy.SP નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર, સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. જેમાં આરોપી જહીર બેલીમ ઉપરાંત સિકંદર વોરા અને તેનો પુત્ર સમીર વોરા પણ સામેલ છે. આ ઉપરાંત આ કેસમાં એક મહિલા સહિત અન્ય ચાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડ બહાર છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ફરાર રહેલા ચારેય આરોપીઓને પકડી પાડવા તપાસ કરી રહી છે. આ તરફ પોલીસે મૃત ગૌ વંશના અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચોઃ
(0)Comments