મોરબી જિલ્લામાં નાણાં ધીરધારના નિયમોનું ઉલ્લંઘન કરનાર 54 શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારાઈ.
જિલ્લા રજિસ્ટ્રારની લાલ આંખ: 15 દિવસમાં સંતોષકારક ખુલાસો નહિ થાય તો લાયસન્સ રદ કરવાની કડક ચીમકી: ઓનલાઈન પોર્ટલ પર વિગતો અપલોડ ન કરવા અને હિસાબોનું ઓડિટ ન કરાવવા બદલ લેવાયા આકરા પગલાં.
( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં 'ગુજરાત નાણાની ધીરધાર કરનારા અધિનિયમ, 2011 અને નિયમો, 2013' હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને સામાન્ય નાગરિકોનું શોષણ અટકે તે હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન અનિયમિતતા જણાતા જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ કુલ 54 શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
કાયદાની જોગવાઈ મુજબ તમામ લાયસન્સધારક શાહુકારોએ દર માસની 1 થી 5 તારીખ સુધીમાં લોનની વિગતો દર્શાવતું નિયત નમૂના નંબર-11 નું પત્રક સરકારી ઓનલાઈન પોર્ટલ (ecooperative.gujarat.gov.in) પર ફરજીયાત સબમિટ કરવાનુ હોય છે. કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષના નાણાકીય હિસાબો, ઓડિટ રિપોર્ટ તેમજ કુલ આવક-જાવકના વ્યવહારોની વિગતો મંગાવવામાં આવી હતી, પરંતુ મોટાભાગના શાહુકારો દ્વારા પોર્ટલ પર સમયસર વિગતો અપલોડ ન કરવા અને હિસાબોનું ઓડિટ ન કરાવવા જેવી બેદરકારી સામે આવી છે. આ નિયમભંગ બદલ કલમ-21(2)(ક)(1) તથા કલમ-43 હેઠળ તમામને નોટિસ આપી 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ અપાયો છે. જો નિયત સમયમાં સંતોષકારક ખુલાસો નહીં મળે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે. જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર શૂન્ય (Nil) હોય તેમણે પણ નિયત સમયમર્યાદામાં 'નીલ પત્રક' કચેરીમાં અચૂક રજૂ કરવાનું રહેશે.
સમગ્ર મોરબી જિલ્લામાં હાલ કુલ 54 ધિરધારના લાયસન્સ કાર્ય૨ત છે. તાલુકાવાર આંકડા જોઈએ તો સૌથી વધુ મોરબી તાલુકામાં 34, વાંકાનેર તાલુકામાં 12 અને હળવદ તાલુકામાં 8 શાહુકારો નોંધાયેલા છે.
જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે જૂના લાયસન્સધારક શાહુકારો હજુ સુધી ઓનલાઇન પોર્ટલ પર નોંધાયા નથી તેઓએ તાત્કાલિક ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુમાં જણાવાયું છે કે, નિયત વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલતા કે ગેરકાયદે ધિરાણની પ્રવૃત્તિ આચરતા તત્વો સામે સામાન્ય જનતાના હિતમાં આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે
(0)Comments