ITI Ganvesh Sahay Yojana: અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓ માટે 'ગણવેશ સહાય યોજના'નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આ રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો હતો.
શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની 289 સરકારી ITIના તાલીમાર્થીઓ માટે આ યોજના શરૂ કરાઈ છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને આગવી ઓળખ ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આ માટે રૂ. 30 કરોડની જોગવાઈ કરાઈ છે. અંતર્ગત રાજ્યના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને બે જોડી ગણવેશ પેટે પ્રત્યેક વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT મારફતે સીધા રૂપિયા 2000 જમા કરાવવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ વર્ષે ITIની 90 થી 95 ટકા બેઠકો ભરાઈ ચૂકી છે, જે કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રત્યેના આકર્ષણને દર્શાવે છે. 'કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી' (KSU) ખાતે એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજીની તાલીમ લઈ રહેલા 35 વિદ્યાર્થીઓમાંથી આશરે 50 ટકા વિદ્યાર્થીઓ ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે.
રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત 2047'ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર ITI સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરી રહી છે, જેથી યુવાનો દેશ-વિદેશમાં રોજગારી મેળવી શકે. ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીએ 'Gen Z' યુવાનોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી દેશના વિકાસમાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.
યોજના અંતર્ગત અન્ય મહત્વની પ્રોત્સાહક સહાયની જાહેરાતો પણ કરવામાં આવી છે-
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને પ્રથમ વર્ષે રૂ. 15,000 અને બીજા વર્ષે રૂ.9,000 મળી કુલ રૂ. 24,000ની સહાય.
દિવ્યાંગ સહાય: દિવ્યાંગ વિદ્યાર્થીઓને ITI સુધી પહોંચવા માટે રૂ. 3,000ની મુસાફરી સહાય.
વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા: ઉત્કૃષ્ટતા દર્શાવનાર વિજેતાઓને જિલ્લા કક્ષાએ રૂ. 7000, પ્રાદેશિક કક્ષાએ રૂ. 25,000૦ અને રાજ્ય કક્ષાએ રૂ. 50,000ના રોકડ પુરસ્કારો.
આ પ્રસંગે રોજગાર અને તાલીમ નિયામક એ. કે. વસ્તાણી, અધિક નિયામક નીલાંજલા રાજપૂત, પ્રિન્સિપાલ નિરવભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજ્યની તમામ ITIના તાલીમાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
(0)Comments