ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચુગે ગુજરાત પ્રવાસના પ્રથમ ચરણ દરમિયાન ગાંધીનગરના સેક્ટર-6/C સ્થિત રોહિદાસ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં વંદન કરી આરતીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત
તરુણ ચુગે જણાવ્યું હતું કે, સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભાજપ દ્વારા 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત દેશભરમાં સમાનતા, સમરસતા અને ભાઈચારાનો સંદેશ આપતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ 1 ફેબ્રુઆરીએ જલંધર સ્થિત ગુરુ રવિદાસ ડેરા, સચખંડ બલ્લાં ખાતે શીશ ઝુકાવ્યું હતું અને આદમપુર એરપોર્ટનું નામ ગુરુ રવિદાસજીના નામે રાખવાની જાહેરાત કરી હતી. સંત રવિદાસજીના સ્મરણમાં જલંધરથી સંત રવિદાસ એક્સપ્રેસ અને જમ્મુ તાવીથી બેગમપુરા એક્સપ્રેસ વારાણસી સુધી શરૂ કરવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
70 હજાર સ્થળોએ પવિત્ર માટીનું પૂજન ચુગે જણાવ્યું કે, ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંત રવિદાસજીના જન્મસ્થળની પવિત્ર માટી સાથેના કળશના પૂજનનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે દેશભરમાં અંદાજે 70 હજાર સ્થળોએ પવિત્ર માટીનું પૂજન કરવામાં આવ્યું છે. વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના અને દીપમાળા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ 16 હજારથી વધુ ગામોમાં પવિત્ર કળશ યાત્રાના સ્વાગત અને પૂજનના કાર્યક્રમો યોજાયા છે. આગામી વર્ષ સુધી રાજ્યભરમાં ગુરુ રવિદાસજીના જીવન અને તેમના સંદેશને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે.
'બેગમપુરા' સિદ્ધાંતનો ઉલ્લેખ ભાજપ પ્રદેશ પ્રભારીએ ગુરુ રવિદાસજીના 'બેગમપુરા' સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેનો અર્થ એવો સમાજ છે જ્યાં કોઈ દુઃખ ન હોય, દરેક વ્યક્તિને ભોજન મળે અને સર્વત્ર સુખ તથા સમૃદ્ધિ હોય. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓ ગુરુ રવિદાસજીના સમાનતા અને કલ્યાણના સંદેશ સાથે સુસંગત છે. સરકાર કરોડો ગરીબોને વિનામૂલ્યે અનાજ આપી રહી છે અને ગરીબ પરિવારોને પાકાં આવાસ ઉપલબ્ધ કરાવી રહી છે.
'સમતાયુક્ત અને આડંબરમુક્ત સમાજ'નો સંદેશ ચુગે કહ્યું કે, ગુરુ રવિદાસજીનો સંદેશ સમતાયુક્ત, આડંબરમુક્ત અને સૌને સાથે લઈને ચાલનારા સમાજના નિર્માણનો છે. તેમણે ગુરુ રવિદાસજીના ત્યાગમય જીવન અને પોતાના ધર્મ તથા સિદ્ધાંતો પ્રત્યેની અડગતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમનું જીવન આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
આરતી બાદ તરુણ ચુગે અને રત્નાકરજી સહિતના ભાજપ આગેવાનોએ મંદિર પરિસરમાં રોહિત સમાજ સહિત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો અને ગુરુ રવિદાસ મહારાજના યોગદાનને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી નીરવભાઈ અમીન, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્યો, ભાજપના આગેવાનો, રોહિત સમાજના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(0)Comments