વડોદરા શહેરમાંથી પારિવારિક વિવાદનો એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નને છ વર્ષ થયા હોવા છતાં પતિ દ્વારા પત્નીને પિયરમાંથી લાવેલ કરિયાવરનો સામાન વાપરવા ન દેવામાં આવતો અને નાની-નાની બાબતો પર માનસિક ત્રાસ અપાતો હતો. આ મામલે પીડિત મહિલાએ
મહિલા છ દિવસ પોતાના પિયર રોકાઈ વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન સામાજિક રીતિ-રિવાજ મુજબ છ વર્ષ અગાઉ થયા હતા અને દંપતીને સંતાનમાં એક દીકરો પણ છે. ઘરમાં સાસુ અને વહુ વચ્ચે સામાન્ય બોલાચાલી થતી હોવાથી સાસુ તેમના મોટા દીકરાના ઘરે રહેવા જતા રહ્યા હતા, જેના કારણે મહિલા છ દિવસ માટે પોતાના પિયર રોકાઈ હતી. જ્યારે મહિલા પોતાના મમ્મી-પપ્પા સાથે સાસરે પાછી ફરી, ત્યારે પતિએ વિચિત્ર વલણ દાખવ્યું હતું. પતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઘરમાં જે જૂની વસ્તુઓ છે તેનાથી જ ઘર ચલાવ, કરિયાવરનો સામાન વાપરવો નહીં. આદુ-લસણ વાટવું હોય તો વાટકીથી વાટ અને તારું ફ્રિજ જે ભાઈના ઘરે છે તે હું લાવીશ નહીં.
મહિલાએ કંટાળીને અભયમ ટીમનો સંપર્ક કર્યો સાસરીવાળાએ દીકરીના કરિયાવરનો બધો જ સામાન એક રૂમમાં પુરાવી દીધો હતો અને દીકરીનું હકનું પણ આપવાનો ઇનકાર કર્યો હતો. પરિવારજનોએ દીકરીને તકલીફ ન પડે તે માટે કરિયાવર આપ્યો હોવા છતાં તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો ન હતો. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ કંટાળીને અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા તથા તેના પરિવારની આપવીતી સાંભળી હતી. અભયમની ટીમે પતિને મહિલાઓના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે સમજાવ્યું કે કરિયાવર પર માત્ર પત્નીનો જ હક છે અને જો આ બાબતે આગળ કાયદાકીય કાર્યવાહી થશે તો કડક પગલાં લેવામાં આવશે.
અભયમ ટીમની સમજાવટ બાદ પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે પત્ની સાથે કરેલા વ્યવહાર બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં ક્યારેય માનસિક ત્રાસ નહીં આપે તેમજ કરિયાવરનો સામાન વાપરવા દેશે તેવી લેખિત બાંહેધરી આપી હતી. અંતે, બેને સ્વેચ્છાએ સમાધાન કરવા સંમતિ દર્શાવતા મામલો સુખદ અંત તરફ આવ્યો હતો.
(0)Comments